જાપાનનો રાજા- કરચલો- માણસ- અને કુદરત!

આ વાત છે આપણી ધરતીના સંગીતની!
કેવો વિચિત્ર શબ્દ છે – ‘ધરતીનું સંગીત!’

ઇ.સ. 1185.
જાપાન.
એ સદીમાં સાત વર્ષનો એક છોકરો જાપાનનો રાજા હતો. તેનું નામ “અન્તોકું”
તેના રાજ્યનું (ટાપુનું) નામ “હાઈકે”.
અન્તોકું હતો સાત વર્ષનો પરંતુ તેના યોદ્ધા જેવા ચહેરા અને ખભા સુધીના લાંબા વાળ હતા. પોતાની બાહોશ માતાની સલાહ લઈને એ આખું ‘હાઈકે’ ટાપુ સંભાળતો હતો. જેમ બાકીની ધરતી પર લડવૈયાઓ હોય છે એમ જાપાનની સંસ્કૃતિમાં લડવૈયાઓને ‘સમુરાઈ’ કહેવામાં આવે છે.

એકવાર ‘હાઈકે’ ટાપુ પર બીજા એક રાજ્ય ‘ગેંજી’ના સમુરાઈનું ટોળું ચડાઈ માટે આવ્યું. દરિયા વચ્ચે જ ‘હાઈકે’ અને ‘ગેંજી’ના સમુરાઈઓના વહાણો વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું. આ નાનકડો રાજા અન્તોકું અને તેના ટાપુ પર રહેતા દરેક સ્ત્રી-પુરુષ આ લડાઈમાં ચડ્યા. પરંતુ દુશ્મનોના સમુરાઈ ખુબ જ શક્તિશાળી હતા, અને થોડી જ વારમાં દરિયાની વચ્ચો-વચ્ચ હાઈકેના સમુરાઈઓ વધેરાવા લાગ્યા. એક પછી એક પુરુષ દુશ્મન તીર-ભાલાઓનો શિકાર બન્યો.

આ નાનકડો રાજા અન્તોકું ગભરાઈ ગયો. પોતાની માતાની સાથે એ પણ યુદ્ધમાં લડતો હતો, પરંતુ તેના ટાપુના બધાજ સમુરાઈને દુશ્મનોને દરિયામાં ફેંકી દીધા હતા, અને જેટલા વધ્યા હતા એ બધા જ દુશ્મનના હાથે મરવાને બદલે જાતે જ દરિયામાં ભૂસકો લગાવીને મરી રહ્યા હતા.

જ્યારે ‘હાઈકે’ના જહાજ પર માત્ર સ્ત્રીઓ અને નાનકડો રાજા જ વધ્યા હતા ત્યારે એક અભૂતપૂર્વ ઘટના બની. રાજાની બાહોશ માતા પોતાના દીકરાને જહાજના લંગર પાસે લઇ જઈ. જહાજના કાંઠે ઉભા રહીને તેણે પોતાના ભગવાનને યાદ કર્યા. ડરી ગયેલા દીકરાએ સામે દુશ્મન સમુરાઈઓને જહાજ અંદર આવતા જોઇને બાજુમાં ઉભેલી માને પૂછ્યું:
“મા…હવે શું કરીશું? આપણું રાજ્ય આપણે ખોઈ બેઠા છીએ.”
એની માતાએ પોતાની આંખો ખોલી. જહાજની ધાર પર દીકરાને લઇ જઈને નીચે દેખાતા અફાટ દરિયા સામે આંગળી ચીંધી.
“ના મારા દીકરા. આપણું રાજ્ય આપણે ગુમાવ્યું નથી. આપણું રાજ્ય ત્યાં છે. દરિયાના પેટાળમાં. આપણે ત્યાં જઈશું અને રાજ્યને સાંભળીશું.”

બસ…એટલું કહીને એ માતાએ પોતાના દીકરા સાથે દરિયામાં કૂદકો મારી દીધો. બંને દરિયામાં ડૂબી ગયા. પાછળ આખું હાઈકે રાજ્ય તારાજ કરવામાં આવ્યું. રાજ્યની પાછળ વધેલી સ્ત્રીઓને યુદ્ધની જગ્યાથી થોડે દૂર કિનારા પર ગુલામ તરીકે બેસાડીને માંછીમારોને ફળ-ફૂલ વેચવાના કામ દેવામાં આવ્યા.

આ ‘હાઈકે’ નું નામ ઈતિહાસમાંથી હંમેશ માટે નીકળી ગયું.

પરંતુ સાચી વાર્તા હવે શરુ થાય છે!

આ દરિયાકિનારે માછીમારો પોતાના ખોરાક માટે કરચલા પકડતા. અમુક વર્ષ પછી આ ગુલામ સ્ત્રીઓમાંથી કોઈએ જોયું કે અમુક કરચલાઓના શરીર પર જે લીટીઓ હોય છે એને ધ્યાનથી જુઓ તો એ ‘હાઈકે’ ના નાનકડા રાજા ‘અન્તોકું’ના ચહેરા જેવી જ દેખાતી હતી! આ સ્ત્રીઓએ વિચાર્યું કે કદાચ દરિયાના પેટાળમાં જ્યારે રાજા અને માતા પડ્યા એ અત્યારે કરચલા રૂપે દરિયાના પેટાળમાં રાજ કરે છે.
આ કરચલાઓના કવચ પર રાજાનો ચહેરો દેખાય છે એ વાત આખા દરિયાકિનારા પર ફેલાઈ. થોડા વર્ષ પછી ત્યાં દરિયાકિનારા પર એક ઉત્સવ થવા લાગ્યો, જેમાં નક્કી થયું કે ‘હાઈકે’ સાથેના યુદ્ધમાં જે રાજા હતા તેમનો ચહેરો જેટલા પણ કરચલાઓ પર દેખાય તેમને પવિત્ર માનવા અને તેમને ખાવા નહી!

હાઈકેનો રાજા દરિયાના પેટાળમાં ઘૂમે છે એવું માછીમારોએ સ્વીકાર્યું. રાજાના ચહેરા જેવી પેટર્ન, માર્કિંગ જે કરચલાના પેટ પર હોય એ જીવવા લાગ્યા, અને દરિયામાં પાછા ફેંકાવા લાગ્યા. વર્ષો જવા લાગ્યા એમ થયું એવું કે આ કરચલાઓ જેમને બીજા કરચલા કરતા અલગ જ ‘રાજાશાહી’ ભોગવવા મળતી હતી એ બધા જ વધુ પ્રોડક્શન કરી શક્યા. તેમની સંખ્યા વધતી ગઈ, અને જે કરચલાના ભાગ્યમાં પેટ પર પેલી કુદરતી પેટર્ન ન હતી એ બધી જ પ્રજાતિઓને આ માછીમારો ખાવા લાગ્યા.

આ કરચલાના શરીર પરની પેટર્ન તો કુદરતી હતી, અને કરોડો વર્ષની ઉત્ક્રાંતિના ભાગ સ્વરૂપે હતી. હકીકતમાં રાજાના ચહેરા દેખાવા એતો ત્યાંના માણસોના મગજની પેદાશ હતી. કરચલાને આ ખબર પણ ન હતી. એક સમય એવો આવ્યો કે એ દરિયાના વિસ્તારમાં બધા જ કરચલાઓના શરીર પર રાજાનો ચહેરો હતો! બાકીની બધી જ પ્રજાતિને માનવજાતે ખાઈને સાફ કરી દીધી હતી.

આ પ્રોસેસને કહે છે : “આર્ટીફીશીયલ સિલેકશન” 🙂

કુદરત આમાં ભાગ ભજવતી જ નથી. ‘હાઈકે’ના કેસમાં આ કરચલાઓની પ્રજાતિને માણસોએ કંટ્રોલ કરી. માણસની ચોઈસને લીધે કુદરતનું જે હજારો વર્ષનું સાઈકલ હતું તેમાં એક પ્રજાતિ જ રહી, અને બાકીની બધી જ લુપ્ત થતી રહી.
આપણે … “માણસ” નક્કી કરીએ છીએ કે કઈ પ્રજાતિ જીવશે, અને કઈ નહીં જીવે. આ અગિયારમી સદીની વાત હતી, પરંતુ વૈશ્વિક ફલક પર જેમ-જેમ માનવજાત વિકસતી ગઈ તેમ-તેમ માણસે નક્કી કર્યું કે તેમને માટે શું કામનું છે, અને શું નથી. કુદરત આમાં ક્યાંય ન હતી. તમને તમારી આજુબાજુમાં દેખાતી ભેંસ વર્ષો પહેલા જંગલમાં રહેતી હતી. મુક્ત પ્રાણી હતું. આપણે આપણી જાત માટે ગાય, કૂતરા, કે બળદના કુદરતી સાઈકલને ખોરવીને ‘આર્ટીફીશીયલ સિલેકશન’ કરેલું છે. આપણા ફ્રુટ્સ, વૃક્ષો કે શાકભાજીને આપણે નક્કી કર્યા છે કે તેમની કઈ પ્રજાતિ આપણને ભાવશે અને કઈ ફેંકી દેવામાં આવશે. ભેંસ-ગાય વગેરે જંગલોમાં ટોળામાં જ રખડતા હતા, અને તેમનો શિકાર માંસ માટે જ થતો હતો, પરંતુ એક દિવસ કોઈ માણસે તેના આંચળને (સ્તન)ને ખેંચ્યું અને દૂધ ફૂટ્યું. તેણે પીધું, અને પછી તાકાત અનુભવી એટલે નક્કી કરી લીધું કે આ પ્રજાતિ આપણી કેલેરી માટે આપણી ગુલામ રહેશે. ઘોડા-બળદ સાથે એવું થયું. માછલી અને મરઘા સાથે એવું જ થયું.

પરંતુ એક બીજી મહાકાય-અવિરત-અને અલૌકિકતાથી ભરેલી પ્રોસેસ માણસ ખુબ મોડી સમજ્યો, અને હજુ સમજ્યો નથી. એ છે: “નેચરલ સિલેકશન” 🙂
હજારો-લાખો-કરોડો વર્ષના આ ધરતીના પટ પર કુદરતે ઉત્ક્રાંતિ કરી. ખુબ ધીમી. કોઈને ખબર પણ ન પડે અને કરોડો પ્રજાતિઓ પેદા થઇ. વૃક્ષ આવ્યા, પશુ આવ્યા. વાનર આવ્યા, અને એમાંથી આવ્યા માણસ. આ માણસ તો છેલ્લા અમુક લાખ વર્ષની જ પેદાશ છે. માણસનું ‘ઈન્ટેલીજન્સ’ ઊંચું હોવાથી તે જંગલમાંથી બહાર ભાગ્યો.

નેચરલ સિલેકશન એવું કહેતું હતું કે “માણસ (આપણા વડવાઓ) ઓક્સિજન વાપરે, કાર્બન ડાયોક્સાઈડ બહાર ફેંકે. વૃક્ષ કાર્બન ડાયોક્સાઈડ વાપરે અને ઓક્સીજન માણસને આપે. વધુમાં ફળ-છાયો-કપડા-અને ખોરાક તરીકે એ વૃક્ષને વાપરી શકે એટલે નેચરલ સિલેકશન મુજબ વૃક્ષોની સંખ્યા વધુ રહી.”

…પરંતુ વર્ષો ગયા અને ત્યાં આપણું ‘આર્ટીફીશીયલ સિલેકશન’ દાનવ બન્યું. વૃક્ષો કપાયા. પશુઓને ગુલામ બનાવાયા. જંગલના ‘કસબાઓ’ માંથી માણસ બહાર આવ્યો, અને ગામડાં-શહેર ઉભા કર્યા. ઇન્ટેલિજન્સ નક્કી કરવા લાગ્યું કે શું જીવશે- શું મરશે.

મારા વ્હાલા વાચકો…વિચારો કે આપણું માનવજાતે કરેલું આર્ટીફીશીયલ સિલેકશન આટલું તાકાતવાન હોય કે જેથી આજે તમે જે જુઓ છે એ બધું જ આપણી બુદ્ધિની પેદાશ છે, તો નેચરલ સિલેકશન કેટલી મહાન અને તાકાતવાન હશે? જેણે માણસને ઉત્ક્રાંતિ માટે રસ્તો આપ્યો, તે કેટલું અગાધ હશે. ‘હાઈકે’ ના કરચલાથી માંડીને તમારી શેરીમાં રખડતા પ્લાસ્ટિક ખાતા ગાય કે પાળેલા કૂતરા કૂદરતી નથી. તમારા લીધે છે! તો હવે જ્યારે તેમને જુઓ ત્યારે તમારા વડવાઓની અને કરોડો વર્ષની આપણી બુદ્ધિની સાક્ષીએ જોજો. કશુંક અલગ દેખાશે. એક વૃક્ષ કાપો ત્યારે ફરી વિચાર કરજો. ધરતીનું સંગીત (Music of Earth) આપણી ચોઈસને લીધે બદલતું રહે છે.

તો હવે આપણે શું કરવું?
હાહાહા… આપણે કશું નથી કરવાનું! કુદરત કરશે. 🙂 કદાચ આ વાચતી પેઢી તેની તાકાત અને ધીમી ગતિને પામી ન શકે, પરંતુ વર્ષો પછી જે થયું હશે તેને ત્યારે જીવતા માણસો કહેશે કે એ “નેચરલ સિલેકશન”નો ભોગ બન્યા. 🙂

(આ વાત મૌલિક લખાણ હોવા છતાં તેના અમુક વાક્યો / ફકરાઓ પુસ્તકોમાંથી શબ્દશઃ લીધા છે. પુસ્તકો છે: “કોસમોસ – કાર્લ સાગન” જેમાંથી મૂળ ઘટના અને ફિલોસોફી લઈને ભાષાંતર કરેલું છે. અને આલ્ફ્રેડ રશેલ વોલેસના નિબંધો, અને ડાર્વિનના પુસ્તક – The origin of species જેમાંથી છેલ્લા બે ફકરાની ફિલોસોફી તારવેલી છે.)

Copyrights belongs to origional works. The story here is a glimpse of origional stories and philosophy.