Empathy.
સમાનુભૂતિ.
કોઈ માણસ પાસે પોતાના બાળકને ખોરાક આપવાની સગવડ નથી, અને એને કારણે એ માણસને જે દુઃખ, રંજ, પીડા થતી હોય, અને એ માણસની પીડાની અનુભૂતિ જો આપણે પણ કરી શકીએ તો એને સમાનુભૂતિ કહેવાય.
વિશ્વ આખું વર્ષો સુધી નહીં ભૂલાય એવી અઘરી પરીક્ષામાંથી પસાર થઇ રહ્યું છે. કદાચ કોરોના ૨૦૨૦ પૂરું થશે ત્યાં સુધી મંદ-મંદ જીવ્યાં જ કરશે. કદાચ આપણને સૌને આ અદૃશ્ય જીવ કોઠે પડી જશે. ભવિષ્ય ધૂંધળું છે. આ પેન્ડેમિકને લીધે વિશ્વ આખામાં જે આર્થિક અને સામાજિક બદલાવો આવી રહ્યા છે એ બીજા ત્રણ-ચાર વર્ષ સુધી ચાલ્યાં કરશે.
આ બધાં કેઓસની વચ્ચે કેટલાયે માનવીઓ મૂંગી પીડામાંથી પસાર થઇ રહ્યા છે. ખુબ ઓછાં બોલી શકે છે. ખુબ ઓછાં રડી શકે છે. ખુબ ઓછાં રાડો નાખી શકે છે. આ સમયને અને આવતાં સમયને સૌથી વધું જરૂર છે – સમાનુભૂતિની.
અત્યારે જો પોતાના પરિવાર, દોસ્તો કે સમાજ માત્ર નહીં, પરંતુ ધર્મ-નાત-જાત ભૂલીને અન્યની પીડાને માત્ર ‘સમજી’ શકો તો પણ આપણે આખા વિશ્વની ‘પ્રેમની એન્ટ્રોપી’ વધારી શકીશું.
૧. આજે શેરીમાં સીતેરેક વર્ષના વૃદ્ધ એક ખાલી રેકડી લઈને ધીમું-ધીમું મરતું-મારતું ચાલ્યાં જતાં હતા. રેકડીમાં એક ખૂણામાં સુકાઈ ગયેલાં મોગરાના ફૂલોની વેણીઓ હતી. સામાન્ય દિવસોમાં બેંગ્લોરના રસ્તાઓમાં વેણી વેચનાર માણસના ફૂલો કરમાયાં ન હોય ત્યાં સુધીમાં વેચાઈ ગયા હોય, પરંતુ અત્યારે ફૂલો મુર્ઝાઈ ગયા હતા. એનાં સૂકા ફૂલ ખરીદવા કોણ બહાર નીકળે? એ વૃદ્ધનું સુકું શરીર, તડકે દાજેલો ચહેરો, ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું જોવા અને એની પીડાની અનુભૂતિ કરવા માણસે પોતાના ડીવાઈસના સ્ક્રીનમાંથી ઊંચું જોઇને આ ઘરડાં માણસને બટકું રોટલો કે પાણીનો ગ્લાસ આપવો કે પછી એને માટે પોતાના ઈશ્વર-અલ્લાહને એક પ્રાર્થના કરવી પણ સમાનુભૂતિ છે.
આ વૃદ્ધ જેવા તો કરોડો ગરીબ આ એકસો ચાલીસ કરોડના દેશમાં છે. આપણે મદદ તો બસ દસ-બારને કરવાની છે. બસ પૂછવાનું છે કે : “દાદા, ભૂખ લાગી છે?”
વિચારો : અત્યારે કેટલીયે માના દીકરાઓ દૂર-દૂર ફસાયાં હશે. કેટલાયે ઘરડાં માબાપ એકલાં હશે. વિકલાંગ, અંધ, કે કોઈપણ બીમારી ધરાવતો માણસ તમારી સાંજની પ્રાર્થનામાં આવે તો પણ ઘણું.
૨. અર્થતંત્ર તૂટે ત્યારે ખુબ ધીમું-મૂંગું તૂટે. રોજનું કમાઈને રોજનું ખાતો દરેક માણસ બેરોજગાર થઇ પડે. શરીરનો ઉપયોગ કરીને જે માણસ રોજીરોટી કમાતો હોય એ બધાં ભાંગી પડે. કન્સ્ટ્રકશનના મજૂરો, સામાન ઊંચકતા કૂલી, ટીફીનવાળા, ટેક્સી ચલાવતાં ડ્રાઈવરો, નાનકડી નાસ્તાની લારીઓ, ચા-કોફી-આઈસ્ક્રીમ વેચનારા, વેઈટરો, ફેરિયાઓ, સેલ્સમેન, નાનકડી નાસ્તા, વાસણ, કપડાં, જૂતાં વગેરેની ભાડાની દુકાનો ચલાવનારા માણસો, સીઝન મુજબ લગ્ન, ઉત્સવો કે પ્રસંગ મુજબ કામ મેળવતાં દરેક રસોઈયા, દરજી, સુથાર, માછીમારો બધાં જ શું કરે?
આપણા દેશમાં આ સંખ્યા નાની નથી. ચાલીસ કરોડથી વધું લોકો છે! માત્ર ખેતી ઉપર જીવન નિભાવતું માણસ કે જેને માટે માર્કેટયાર્ડમાં કશુંક વેચાય તો દિવાળી આવે એજ કેટલાં.
બેશક સરકારે એક તરફ આર્થિક મહામારી અને બીજી તરફ આ અવિરતપણે ભાગતી બીમારી બંનેને બેલેન્સ કરવાના છે. આપણે કશું ન કરી શકીએ તો કઈ નહીં પરંતુ કોઈ માણસને કામ આપી શકીએ તો Supply-Demand નું ચક્ર ચાલતું થાય. જે માણસો પાસે ૩૦-૪૦ હજાર રૂપિયાની સગવડ છે એમને દિવાળી આવી જાય, પરંતુ જેમનાં ખિસ્સા અત્યારે જ ખાલી છે એની પીડાની ભાળ હોવી એ પણ ઘણું.
૩. અર્થતંત્ર તૂટે ત્યારે ઊંહકાર ગરીબ અને મધ્યમ વર્ગને જ નીકળે. દેશનું અર્થતંત્ર ચાલે પણ MSME (નાના-મધ્યમ ધંધાઓ) દ્વારા. અત્યારે દરેક હીરાના કારખાનાં, કોલસેન્ટર, નાના ઉદ્યોગો, ઘરેલું ઉદ્યોગો, સર્વિસ સેક્ટરની દરેક નોકરી, ટ્રાવેલ ઉદ્યોગ, હોટેલ અને ગેસ્ટહાઉસનો ઉદ્યોગ, કુરિયર જેવી ટ્રાન્સપોર્ટમાં જોડાયેલી દરેક નાની-નાની જોબ, નાનકડાં કારખાનાં-હોટેલો બધું જ બંધ છે. કારીગરો અને માલિક બધાં ગામડે સ્થળાંતર કરી ગયા છે. એ બધાં જ મહિનાઓ સુધી કદાચ ન આવે અને આ બધું ચાલુ થાય ત્યાં સુધી સૌકોઈ નાની નોકરીવાળા માણસને ‘મને પાછો નોકરી પર રાખશે કે નહીં’ એ સતત ભય નીચે જીવવાનું છે.
ખાસ યાદ રહે: આપણે આમને મદદ ન કરી શકીએ કદાચ, પણ આ ડીજીટલ યુગમાં જ્યારે દરેક માણસ એકબીજાની જીંદગી જોઈ શકે છે ત્યારે ભૂલથી પણ કોઈને મજાક ન બનાવીએ. આપણું સુખ-સાહ્યબી કદાચ આ સમયમાં સૌને શો-ઓફ ન કરીએ તો ચાલે. અત્યારે પોતાનાં મકાનો-કાર-ઘરેણાં કે અમુક અંશે ભપકાદાર રસોઈના ફોટા પણ ન મુકીએ તો ચાલે. (ખરેખર કોઈને ખબર નથી હોતી કે બીજો માણસ કેવી અગ્નિપરીક્ષા આપી રહ્યો છે)
જો તમે રોજગાર આપનારાં માણસ હો તો ખાસ આજીજીપૂર્વક કહીશ કે – આઠ-દસ હજારના પગારદાર માણસને છોડી ન મુકવો. સમય કપરો છે જ, પરંતુ તમે થોડા ઘસાવ અને કોઈનું ખોરડું ઉજળું થતું હોય તો થવા દેજો. આ હાથ ઝાલવાનો સમય છે, હાથ છોડવાનો નહીં.
૪. મોટાભાગની કંપનીઓએ લાખોની સંખ્યામાં માણસોને લે-ઓફ કર્યા છે. પગાર બંધ કર્યા છે. પગાર ઘટાડી દીધાં છે. પગારમાં વધારો રોકી દીધો છે. પણ જ્યાં સુધી નોકરી છે ત્યાં સુધી ચિંતા ન જ કરવાની હોય. ઉલટું જેમને નોકરી નથી એમની તરફ સમાનુભૂતી રાખીને એમને નોકરી શોધવામાં મદદ કરવાની છે. તમારો પગાર વધ્યો હોય તો પણ એનો કોઈને દેખાડો કરવો ન જોઈએ. આ વર્ગ કે જેની સેલેરી ત્રીસ-ચાલીસ હજારથી વધુ છે એમણે જ શક્ય એટલી સમાનુભૂતિ – એમ્પથી બતાવીને સંયમ સાથે અન્યને મદદ કરવાની છે. નોકરી ન આપી શકો તો વિશ્વાસુ માણસને બનતી મદદ પણ ઘણું મોટું પુણ્ય જ છે. લાખોના દાન ન આપીને કોઈના બાળકોને ભણાવી દેશો તો કોઈનો આત્મો ઠરશે.
૫. ખુબ જ અગત્યનું છે : અત્યારે કરોડો લોકો માનસિક રીતે પીડાઈ રહ્યા છે. કહી નથી શકતાં પરંતુ એમનાં મન-મગજ થાક્યા છે. કેટલીયે સ્ત્રીઓને પોતાના પુરુષની ઘરેલું હિંસા વધી છે. બાળકો-વૃદ્ધો સૌ ચાર દીવાલો વચ્ચે ચુપચાપ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ સમય પૂરો થાય. ૨૦૨૦ને માત્ર છ મહિના ગયા છે પણ જાણે વર્ષોનો કારાવાસ લાગે છે. દરેક માણસને સહાનુભૂતિ અને સમાનુભૂતિ બંનેની જરૂર છે. શક્ય હોય તો જેમની પીડા સાંભળી શકાય એ સાંભળજો. સાંત્વના દેજો. સાયકોલોજીસ્ટની જેમ એમને માત્ર તમારી આગળ ખાલા થવા દેજો. અગેઇન : પોતાની મોજ અને જાહોજલાલી ન દેખાડો તો પુણ્યનું કામ કર્યું સમજવું. કોઈને બે મીઠાં શબ્દો કહીને, ભેંટીને, માથે હાથ ફેરવીને કહી શકો કે ‘આ બધું જ વીતી જશે’ અથવા ‘હું તમને સમજી શકું છું’ બસ તો પણ ત્યાં આપણી સૌની ‘સમાનુભૂતિ’ જન્મી જશે. ત્યાં વિશ્વ આખાની ‘પ્રેમની એન્ટ્રોપી’માં વધારો થશે.
Reblogged this on Revolution.
LikeLike