ધ રામબાઈ – પ્રિ ઓર્ડર

આજે મારી માતા – જન્મદાતાનો જન્મ દિવસ છે. મારા જેવાં માવડિયા છોકરાં માટે તો આજે મારા ઈશ્વરનો પ્રાગટ્ય દિવસ છે.
મારી બાને સાઈઠમું વર્ષ બેઠું. એનું વ્યક્તિત્વ એવું છે કે જેમ-જેમ મારી ઉંમર વધતી જાય છે એમ-એમ હું એનાં વિશે કશું લાંબુ બોલી કે લખી નથી શકતો. એને મોકો મળે ત્યારે ભેંટી પડું. એનાં ખોળામાં માથું મુકીને સૂતો રહું. એના પગને મારું માથું સ્પર્શ કરીને આશિષ માંગ્યા કરું.
આજે સવારે વહેલી ઊંઘ ઉડી ગઈ અને થતું હતું કે બાના જન્મદિવસે કશુંક જીવનભર યાદ રહે એવું કરું.
એટલે આજે ફોન પર એમનાં આશીર્વાદ લઈને ત્રીજી નવલકથાનો પણ જન્મદિવસ ઉજવીએ. આજથી તમે ‘ધ રામબાઈ’ નવલકથાને પ્રિ-ઓર્ડર કરી શકશો. નવલકથા કાલે પ્રિન્ટમાં જાય છે એટલે અગાઉથી ઓર્ડર કરનાર દોસ્તોને ૬-૮ દિવસમાં ઘરે પહોંચી જશે.
આશા છે કે રામબાઈને વાંચવાની સફર તમારાં મનમાં અમર બની રહેશે. તમારા આ ભેરું પર ભરોસો હશે તો રામબાઈ પછી પણ ઘણી નવલકથા રૂપી સફરો કરશું. (સાત-આઠ વર્ષ પહેલાં હું પણ માના આશીર્વાદ લઈને આ લાંબી વાર્તાઓ લખવાની સફરે નીકળેલો અને જોતજોતામાં ત્રીજી નવલકથા લખાઈ ગઈ.)
નોંધ: મારે પ્રિ-ઓર્ડરમાં દરેક કોપીને સાઈન કરીને પછી તમને કુરિયર કરવાનું મન હતું, પણ લોકડાઉનને લીધે મારી પાસે પણ મારું ત્રીજું બાળક કુરિયરમાં આવવાનું છે! એટલે મારાં લખાણ પર ભરોસો રાખીને (કોઈ રીવ્યું વિના પણ) નવલકથા ખરીદનાર દરેક દોસ્ત માટે મેં બીજો વિકલ્પ એ વિચાર્યો : નવલકથાના છેલ્લે પાને મારો સંપર્ક કરવા માટેનો નંબર પેન્સિલથી લખ્યો હશે. (તમને કુરિયર કરનાર પ્રકાશક વ્યક્તિએ લખ્યો હશે.) તમે આખી વાર્તા વાંચી નાખો પછી મને ફોન કરજો. ફોન પર સુખ-દુઃખની વાતો કરીશું. વાત કરવાને બહાને હું તમારો આભાર વ્યક્ત કરી શકીશ. 🙂
પ્રિ-ઓર્ડર માટે તમારું નામ, આખું સરનામું, ફોન નંબર ત્રણેય નીચેના નંબર પર વોટ્સએપ કરી દેજો. પછી ૬ થી ૮ દિવસમાં તમને નવલકથા મળી જશે.
વોટ્સએપ નંબર: 9409057509
કિંમત: 199 Rs. અન્ય કોઈ ચાર્જ નથી. (ઉપરાંત દેશભરમાં ગમે ત્યાં ડિલીવરી નિ:શુલ્ક છે) પેમેન્ટ કેમ કરવું એ તમને તમારા મેસેજના રીપ્લાયમાં કહેશે.
(પ્રિ-ઓર્ડર સમયની જ આ કિંમત છે. પ્રિન્ટ પછી વિતરકની કિંમત કદાચ વધું હશે)
Rambai front coverRambai back cover

‘ધ રામબાઈ’ ની વાર્તા શું છે એ કહેવું ખુબ અઘરું છે. મોટેભાગે અહીં પુસ્તકના કવર પર વાર્તાની યાત્રાનો અર્ક લખાતો હોય છે. પણ આ પુસ્તકમાં એવું કરીશું તો વાર્તાનો આત્મા ઘવાશે. તમે જો લેખક ઉપર વિશ્વાસ રાખી શકો અને વાર્તા વાંચતા જાઓ તો એક સમયે તમને ખબર પડી જશે કે ‘ધ રામબાઈ’ શું છે. છતાં…

જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા, અને અભણતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ્ટ પર ભૂતકાળમાં બની ગયું છે.

રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જીંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પુરતી નથી. એ દુ:ખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઉભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. આ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે.

…પણ એ વાંચક…આ બાઈની અંદર ચારસો સુરજની આગ છે હો. બહારથી તો એ ગામડાની ગરીબડી સ્ત્રી હતી, પણ અંદર ચોસઠ જુગનો નાથ પણ જોઇને બળી મરે એવી મીઠી જીંદગી જીવી હતી. આ વાર્તા વાંચીને, જીવીને તમે ભીની આંખ અને તૂટેલાં હૃદય સાથે ચુપચાપ બેઠા રહેશો અને તમને મળેલી પોતાની જીંદગી તરફ જોયા કરશો.

એય રામબાઈ…તું તો કોસ્મિક ફેરીટેલ જેવી છે. તું તારી આંખો આકાશ તરફ રાખે છે અને ઉગ્યા કરે છે. તું પડે છે. ફરી-ફરી પડે છે અને પછી ઉગતા સુરજની જેમ ઉઠે છે, અને ચાલતી થાય છે આ મહાન – ભવ્ય રસ્તા ઉપર. જીવન નામના રસ્તા પર. તારું આવું જીવવું જોઇને મારું મોઢું ફાટ્યું રહે છે. આત્મો મૂંગા-મૂંગા બરાડા પાડે છે. તારી ગાથા થકી માનવતાના મૂલ્યોનું વિરાટ દર્શન થયા કરે છે.

આ ધરતી ઉપર માણસ તો ઘણા પાકશે પણ તારા જેવા માણસને પાકવા માટે આ ધરતી એકલીએ બ્રહ્મમાં ઘણાંય ધક્કા ખાવા પડશે. તારા નૂર, ઝમીર અને જીવનને સલામ.

***

જીતેશ દોંગાની નવલકથાઓ શરૂઆતમાં ધીમે-ધીમે બધું મજબુત બાંધે છે. ધીમે-ધીમે મને પટાવે ફોસલાવે છે. મને આમ-તેમ રમાડે છે. થોડો-થોડો મીઠો તડકો આપે છે, અને પછી અચાનક મને ધડામ દઈને એવા તે બ્લેક-હોલમાં ફેંકી દે છે જ્યાં મને મારું ભાન નથી. સમયનું ભાન નથી. જીવ-જીવનનું ભાન નથી. હું હું નથી. હું બીજું દ્રવ્ય બનીને પીગળી ગયો હોઉં છું અને વાર્તાનું ગુરુત્વાકર્ષણ મને પળભરમાં માણસ તરીકે બદલી નાખે છે.

લી. તેજસ દવે. ઈસરો સાયન્ટીસ્ટ