અન્નની ત્રણ કેટેગરી!

અમારે પરિવાર મોટો. પરિવારના વહેવાર પણ ખુબ મોટાં. મોટાં વહેવારને લીધે જેટલી સંખ્યામાં સારા પ્રસંગોની અંદર જવું પડે, એટલી જ સંખ્યામાં ખરાબ પ્રસંગોમાં (બેસણું, પાણીઢોળ, મોટી બીમારી કે અકસ્માતોમાં ખબર કાઢવા) પણ જવું પડે.
 
નાનપણથી જેટલાં પણ સગાસંબધી કે પછી દૂર-દૂરના ઓળખીતાં અથવા જાણીતાં માણસોનું મૃત્યુ થાય ત્યારે અમારાં ઘરે પરિવારમાં એમની વાતો થતી જ હોય. નાનપણથી લગભગ સો જેટલાં મૃત્યુને લઇને જો એમનાં મૃત્યુના કારણને અલગ-અલગ બકેટમાં નાખીએ તો ખબર પડે કે હાર્ટએટેક, એકસીડન્ટ, કે વ્યસનની આડઅસરના રોગ સૌથી મોખરે હોય.
 
સો લોકોના મૃત્યુમાં સમજો કે ચાલીસ જેવાં મૃત્યુ હાર્ટએટેકથી થયા હશે. (આ સચોટ આંકડો નથી. સચોટની નજીકનું અનુમાન છે). આ હાર્ટએટેકના દર્દીઓની પ્રોફાઈલ અને ભૂતકાળ જોઈએ ત્યારે મોટાભાગના કેસમાં અમુક વસ્તુઓ કોમન મળે. એમાં સૌથી મોખરે બે પેટર્ન દેખાય છે :
૧) ખાવા-પીવામાં બેદરકારી/અતિરેક
૨) બેઠાડું સ્થિર જીવન
 
મેં નાનપણથી એમની ખાવાપીવાની પેટર્નમાં રસ લઈને ઘણી પૂછપરછ કરેલી છે, અને અમૂક કોમન તારણો દેખાયા છે. જેમકે હાર્ટએટેકના દર્દીઓમાં ખુબ તેલવાળું, તીખું, એકધારું ખાવાવાળાની સંખ્યા મોટી જોયેલી છે. કોલેસ્ટ્રોલ બધાં કેસમાં કોમન છે. ખાવામાં પ્રોસેસ્ડ ફૂડ ખુબ વધું છે. ચાઇનીઝ, પંજાબી ફૂડ, ચીઝ, પનીર, મેંદો, રેસ્ટોરન્ટની વિઝીટ્સ વધું હોય એવાં દર્દી વધું જોયાં છે. સતત પ્રોસેસ થયેલાં તેલમાં તળેલી વાનગીઓ, મીઠાઈ વધું પડતી ખાવી એ કોમન ફેક્ટર છે એટેકની પ્રોફાઈલમાં.
 
અનુભવે એ સમજાયું છે કે એટેકના ભોગ બનેલાં માણસોમાં જેટલું બેઠાડું સ્થિર જીવન જવાબદાર છે એનાંથી વધું જવાબદાર એમનો ખોરાક અને એમાં જતું પ્રોસેસ્ડ ફૂડ છે. એટલે મને પ્રોસેસ ફૂડને અલગ-અલગ કેટેગરીમાં જોડવાનું કામ વર્ષોથી ફાવી ગયું છે. આજે એ વાત કરવી છે કે ખાવામાં કઈ ત્રણ કેટેગરી હોય છે અને એની સ્વાસ્થ્ય ઉપર અસર કેવી હોય છે.
 
આ ત્રણ કેટેગરી કદાચ સાયન્સમાં કોઈએ રીસર્ચ કરેલી હશે જ, પરંતુ મારું જાતે કરેલું રીસર્ચ ઉપર કહ્યું એમ સો જેટલાં એટેકના દર્દીઓની ખાવાની રીતોની પૂછપરછ પરથી જ છે. અગેઇન, આ કોમન જ્ઞાન છે, પરંતુ અહીં એટલે કહી રહ્યો છું કારણકે મેં રસ દાખવીને દરેક પ્રોફાઈલનો અભ્યાસ કરેલો છે.
 
હવે સીધી મૂળ વાત પર જ આવીએ કે આ પ્રોસેસ કરેલાં ખોરાકમાં કઈ-કઈ ત્રણ ટાઈપની પ્રોસેસ હોય છે, અને કેવો ખોરાક ખાવો જોઈએ.
(પ્રોસેસના નામ જાતે આપેલાં છે)
 
૧) ઝીરો પ્રોસેસ : મતલબ એવો ખોરાક કે જે મશીનમાં પીસાયો નથી. તેલમાં તળાયો નથી. કાચો છે, અથવા એકવાર બાફેલો કે શેકેલો છે. જેમકે કાચાં શાકભાજી, તાજા ફળો, ગાય-ભેંસના પ્યોર દૂધ, શેકેલાં મકાઈ-ચણા-શીંગ, ખેતરમાં કે ગાયભેંસ પાસે જઈને સીધાં જ ખાવા-પીવામાં લેવાતી દરેક વસ્તુ. આમાં નોર્મલ રાઈસ, દહીં, બાફેલાં ઘઉં,ચણા, મગ, ખજૂર, મુખવાસ વગેરે પણ આવે. જેટલી વસ્તુઓ તમે યાદ કરી શકો કે જે કુદરત પાસેથી સીધી લીધી છે અને પેટમાં નાખી શકાય એવી. આ ઝીરો પ્રોસેસનું ફૂડ એટલે વૈદિકકાળનું ફૂડ. ઋષિમુની, બાવા, અને વર્ષો સુધી કુદરત વચ્ચે રહીને જીવન અને પેટ રળતાં ખેડૂત, ભરવાડ, મજૂર લોકોનું ફૂડ. ઝીરો પ્રોસેસનું ખાવાનું મોટાભાગે મોર્ડન માનવી ઇગ્નોર કરે છે. નથી ખાતો. એમને એમાં મોજ નથી આવતી. કૂલ નથી. જીભને ગમતું નથી. પણ આ ફૂડ ખાવા માટે જ સજીવ સૃષ્ટિ ઘડાયેલી છે. પ્રાણીઓમાં કોલેસ્ટ્રોલ નહીંવત હોવાનું કારણ કુદરતે આપેલું સીધું ખાય છે અને ખાટલાંમાં કે એસીમાં પડ્યા નથી રહેતાં એ છે. (ચોખ્ખી હવા પણ ઝીરો પ્રોસેસનું ફૂડ છે. એસી-કૂલરની હવા પ્રોસેસ કરેલી હવા છે.)
 
૨) ફર્સ્ટ પ્રોસેસ : એકવાર જે વસ્તુ મશીનમાં પીસી નાખો એ બધું. ઘઉં-ચણા-ચોખાનો લોટ, માખણ, ઘાંચીનું તેલ, બરફ, જીરું, ચટણી, મસાલા વગેરે એકવાર મશીનમાં ભરડાઈ ગયેલી વસ્તુઓ. આ બધું શરીરને રેગ્યુલર માત્રામાં વધું નુકસાન ન કરે, પણ સતત અને સખત સપ્લાયથી અમુક કેસમાં તકલીફ પડે. ખાસ તો ફર્સ્ટ પ્રોસેસના ખોરાક સાથે બેઠાડું જીવન મિક્સ કરો એટલે અંતે બીપી-કોલેસ્ટ્રોલ કે મેદસ્વીપણું આવે જ. છતાં, ફર્સ્ટ પ્રોસેસનો ખોરાક રોજે ખાઈએ તો પણ ચાલે. અતિની ગતિ ન કરીએ ત્યાં સુધી. (આમાં એસીની હવા પણ આવી ગઈ)
 
૩) સેકન્ડ પ્રોસેસ: આ કેટેગરી ખતરનાક છે. જે કુદરતી વસ્તુ એક કરતાં વધું વાર મશીનમાં જાય, ઊંચા તાપમાને ગરમ થાય કે તળવામાં આવે એ બધું જ ખુબ ખરાબ. ચીઝ (ચાર-પાંચ પ્રોસેસ પછી બને). તેલ (ત્રણ-ચાર પ્રોસેસ પછી બને), મેંદો (અતિશય બારીક લોટ), ખાંડ (છ પ્રોસેસ પછી બને) અને આ બધાં ચીઝ, તેલ, ખાંડ, મેંદો ને મિક્સ કરીને જેટલી પણ આઈટમ બને એ બધું જ જીભને ભાવે પણ શરીરને નવું લાગે! જીભ મોજમાં અને શરીર પચાવવા માટે લોડ સહન ન કરી શકે એટલે અવનવાં એસિડ અને કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરે. પિત્ઝા, બ્રેડ, ભજીયાં, મન્ચુરિયન, નુડલ્સ, મીઠાઈઓ, પનીર, કોલ્ડ ડ્રીંક્સ, સોફટ ડ્રીંક્સ, ફ્રીજમાં થીજવેલી દરેક આઈટમ, જ્યુસ પણ આવી ગયા. (મિક્સરમાં ખાંડ નાખીને જે ફ્રુટ જ્યુસ બને એ ચાર પ્રોસેસ થઇ. ખાંડ પોતે પ્રોસેસ્ડ, ઉપરથી એને મિક્સરમાં નાખવાની).
 
કશું પણ ખાતા હો ત્યારે જો તમે ઈમેજીન કરી શકો કે આ “કેટલી પ્રોસેસમાંથી પસાર થયેલું અન્ન છે?” અને એ મુજબ કોમનસેન્સ વાપરીને માત્ર ઝીરો અને ફર્સ્ટ પ્રોસેસનું અન્ન ખાઓ અને બાકીનું બધું જ ઓછું કે સાવ બંધ કરી નાખો તો શરીર પોતે દરેક રોગ સામે જાતે લડી લે. શરીરને લડવા માટે દવાઓના ડોઝની જરૂર ન પડે.
ટૂંકમાં કુદરતે આપેલું જ શરીરને આપવું. માણસે જાતે હોંશિયારી દાખવીને સ્વાદ માટે બનાવેલું બધું અતિરેકમાં તો નુકસાન જ કરે. જ્યાં માણસનો હાથ ફરી જાય એ બધું જીભને ભાવે અને પેટને લ્હાવે ( લ્હાવે મતલબ સિસકારા બોલાવે.)
 
હાર્ટએટેક, મેદસ્વીપણું, કોલેસ્ટ્રોલની પ્રોફાઈલમાં આ સેકન્ડ પ્રોસેસના અન્ન વધુ જોવા મળે છે. ગુજરાત, અમેરિકા કે યુરોપમાં કોરોનાની મોર્ટાલીટી ઉંચી છે એનું કારણ મને ક્યાંક આ જીભને પસંદ બ્રેડ, ચીઝ ખાવાનું અતિરેકમાં ચાલે છે એટલે લાગે છે. ઇવન પ્રેગનન્સીમાં જેટલી તકલીફો હાલના સમયમાં સ્ત્રીઓને પડે છે એમાં ઘણાં કેસમાં ખોટી ફૂડ-પેટર્ન અને લાઈફ-સ્ટાઈલ છે. હું ખોટો હોઈ શકું પરંતુ આ પર્સનલ તારણ છે. જૂની પેઢીઓ ઝીરો પ્રોસેસનું અન્ન ખાતા અને ઉપરથી ખુબ કામ કરતાં. એ જ ઉપાય. 😊

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s